શુક્રનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 62 થી 73 શુક્રનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે.

પ્રથમ ભાવ: જ્યારે પ્રથમસ્થાન/લગ્નસ્થાનમાં શુક્ર સ્થિત હોય ત્યારે જાતક સુંદર આંખો તેમજ મુખથી યુક્ત સુગઠિત શરીરધારી, સુખી, દીર્ઘાયુષી, ડરપોક, સ્ત્રીઓની આંખોને સુંદર લાગનાર હોય છે.

દ્વિતીય ભાવ: જ્યારે દ્વિતીયભાવમાં શુક્ર સ્થિત હોય ત્યારે જાતક અખૂટ ઐશ્વર્ય, અન્ન અને પાનથી (પેય) યુક્ત હોય છે. ઉત્તમ ભોગો ભોગવનાર, સુંદર વચનો બોલનાર તથા અત્યંત ધનવાન હોય છે.   

તૃતીય ભાવ: જો કુંડળીમાં તૃતીયભાવમાં શુક્ર રહેલો હોય તો જાતક સુખી, ધનવાન, સ્ત્રીથી પરાજીત, લોભી, અલ્પ ઉત્સાહ ધરાવનાર, સૌભાગ્યવાન અને વસ્ત્રોથી યુક્ત હોય છે.

ચતુર્થ ભાવ: જો કુંડળીમાં ચતુર્થસ્થાનમાં શુક્ર સ્થિત હોય તો જાતક બંધુ, મિત્ર અને સુખથી યુક્ત, સુંદર, વાહન અને વસ્ત્રોથી સંપન્ન, મનોહર, દીનતા રહિત, સૌભાગ્યવાન હોય છે.

પંચમ ભાવ: જ્યારે પંચમસ્થાનમાં શુક્ર સ્થિત હોય ત્યારે જાતક સુખ, પુત્ર અને મિત્રોથી યુક્ત, કામી, અત્યંત ધનવાન, અખંડિત વૈભવ ભોગવનાર, સચિવ કે ન્યાયધીશ હોય છે.

ષષ્ઠમ ભાવ: જ્યારે છઠ્ઠા ભાવમાં શુક્ર હોય ત્યારે જાતક અધિક અશુભ કાર્યો કરનાર, સ્ત્રીઓનો અધિક શત્રુ, ઐશ્વર્ય રહિત, વિકળ તેમજ અત્યંત દુષ્ટ હોય છે.

સપ્તમ ભાવ: જો સપ્તમસ્થાનમાં શુક્ર રહેલો હોય તો જાતક અત્યંત રૂપવતી સ્ત્રીનું સુખ ભોગવનાર, બહુરૂપિયો, અત્યંત ઐશ્વર્યવાન, કલહ રહિત, સુંદર ભાગ્યથી યુક્ત હોય છે.

અષ્ટમ ભાવ: જ્યારે અષ્ટમસ્થાન સ્થિત શુક્ર હોય ત્યારે જાતક દીર્ઘાયુષી, અદ્વિતીય સુખી, ધનથી સંપન્ન, રાજાના સમાન, પ્રત્યેક ક્ષણે સંતોષ પ્રાપ્ત કરનાર હોય છે.

નવમ ભાવ: જો નવમભાવમાં શુક્ર રહેલો હોય તો જાતક સુગઠિત દેહ ધરાવનારધનવાન, ઉદાર સ્ત્રી ધરાવનાર, સુખી, મિત્રોથી યુક્ત, દેવતા, અતિથિ તેમજ ગુરુનો ભક્ત હોય છે.   

દસમ ભાવ: જ્યારે દસમસ્થાન સ્થિત શુક્ર હોય ત્યારે જાતક બગીચાથી ઐશ્વર્યવાન, મિત્રોથી યુક્ત, સુખી, ધનવાન, યશસ્વી, માનસન્માન અને રતિસુખને પ્રાપ્ત કરનાર, અત્યંત બુદ્ધિમાન તેમજ પ્રસિદ્ધ હોય છે.

એકાદશ ભાવ: જ્યારે એકાદશભાવમાં શુક્ર રહેલો હોય ત્યારે જાતક આજ્ઞાકારી સેવકોનું સુખ ભોગવનાર, અત્યંત લાભવાન તેમજ સમસ્ત દુ:ખોથી રહિત હોય છે.

દ્વાદશ ભાવ: જ્યારે દ્વાદશસ્થાનમાં શુક્ર સ્થિત હોય ત્યારે જાતક પ્રમાદી, સુખી, સ્થૂળ શરીર ધરાવનાર, પતિત, સાફ-સ્વચ્છ ભોજન કરનાર, શય્યા આદિ શયનના ઉપચાર અને સુખ સાધનો વસાવવામાં કુશળ, સ્ત્રીથી પરાજીત હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા